ખેડા અને આણંદમાં પોતાનો રાજકીય દબદબો જળવાઈ રહે આ માટે ભાજપમાં રાજકીય સબંધોને ઉણી આંચ ન આવે અને જિલ્લામાં મહત્વ ઓછું ન થાય તે માટે ખુદ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપ સાથે રાજકીય સોદાબાજી કરી છે. ભાજપ નેતાગીરી સામે એવી ગોઠવણ પૂરી પાડવામાં આવી હતી કે, આણંદમાં કોંગ્રેસ વિરૂદ્ધ ભાજપે નબળો ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતારવો. આ ઉપરાંત ખેડામાં ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ સામે કોંગ્રેસના નબળા ઉમેદવારને મુકવો.
એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, ધારાસભ્ય કાળુ સિંહ ડાભીને ચૂંટણી જ લડવી નહોતી, પણ તેમને ભરતસિંહ સોલંકીએ જ લડવા માટે ઉશ્કેર્યા હતા. એટલું જ નહીં કેન્દ્રિય-પ્રદેશ નેતાગીરીને વિશ્વાસમાં લીધા વિના જ કાળુસિંહ ડાભીને ટિકિટ આપવાના વાયદા કરી દીધા હતાં. ખેડા જિલ્લામાં ક્ષત્રિય નેતા કાર્યકરોનું મહત્વ વધે તેવો ઉન્માદ વધારવામાં આવ્યો હતો. દિલ્હીમાં હાઈકમાન્ડે એવું નક્કી કર્યું હતું કે, પૂર્વ સાંસદ દિનશા પટેલને વિશ્વાસમાં લઈ જે ઉમેદવાર નક્કી થાય તેને ટિકિટ આપવી. પણ ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા છેલ્લે સુધી કાળુસિંહ ડાભીનું નામ લઈ બેઠા હતા. કોંગ્રેસના આ નેતાઓએ જ ટિકિટ જાહેર થાય તે પહેલાં જ નક્કી કરેલી રણનીતિ મુજબ પત્રકારોને બોલાવી કાળુસિંહ ડાભીને ઉમેદવાર ઘોષિત કરી દીધાં હતાં. જો કે હાઈકમાન્ડે તો બિમલ શાહના નામ પર મંજૂરીની મહોર મારી હતી. એટલે કાળુસિંહ ડાભીએ રાજીનામું ધર્યું હતું. જેથી યોજના મુજબ ખેલ પડાયો હતો.
ભરતસિંહ સોલંકીએ વર કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો તે ઉક્તિને સાચી ઠેરવી હતી. આ નેતા જ ભાજપના નેતા દેવુંસિંહ ચૌહાણને ક્ષત્રિય મતો મળે તેવો માહોલ રચી દીધો છે અને દોષનો ટોપલો સાંસદ દિનશા પટેલ પર ઢોળી દીધો છે. ભાજપને જીતાવવમાં કાળુસિંહ ડાભીને ટિકિટ આપવામાં નાકામિયાબ ભરતસિંહ સોલંકીએ આખરે ખેલ પાડી ભાજપને મદદ કરી દીધી છે. આ તરફ, ભાજપની કેન્દ્રિય નેતાગીરીએ પણ આણંદમાં ભરતસિંહ સોલંકી પ્રત્યે કુણી લાગણી દર્શાવી છે. મિતેષ પટેલ પૈસાદાર ખરા પણ નવા નિશાળીયા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. આમ ખેડા-આણંદમાં એકબીજા સામે નબળો ઉમેદવાર મૂકવાનો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય સોદો થયો છે.
Post a Comment