બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. ભાજપના પરબત પટેલ અને કોંગ્રેસના પરથી ભટોળ વચ્ચે ચૂંટણી જંગ જામશે. જોકે પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ મંત્રી પરબત પટેલને ટિકિટ અપાવી પોતે વિધાનસભામાં જવાનો માર્ગ મોકળો બનાવી લીધો છે. જો પરબત પટેલ જીતે તો જ શંકર ચૌધરી પેટાચૂંટણીમાં જંપ લાવી શકે છે. પરિણામે ભાજપના ઉમેદવારને જીતાડવા કારસો રચાયો છે. શંકર ચૌધરીએ બનાસકાંઠા બેઠક જીતાડવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાથે હાથ મિલાવ્યા છે.
છેલ્લા કેટલાંય વખતથી અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી નારાજ છે. બનાસકાંઠામાં હરિ ચૌધરીનું પત્તુ કપાવીને શંકર ચૌધરીએ મંત્રી પરબત પટેલને ટિકિટ આપી એક કાંકરે બે પક્ષી માર્યા છે. જો પરબત પટેલ જીતી જશે તો પેટા ચૂંટણીમાં જંપ લાવી ફરી મંત્રી બનવાની તક મળી શકે. આ જોતા શંકર ચૌધરીએ અલ્પેશ ઠાકોર સાથે ગોઠવણ પાડી છે. સુત્રો કહે છે કે, અલ્પેશ ઠાકોરના જ ઈશારે જ ઠાકોર સેનાના ઉપપ્રમુખ સ્વરૂપ ઠાકોર અને મંત્રી અમૃતજી ઠાકોરે બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવારી કરી છે જેના કારણે મતો વહેંચાઈ જાય અને ભાજપને ફાયદો થાય.
ભાજપમાં જવાનો મેળ પડ્યો નહીં એટલે અલ્પેશ ઠાકોરે રાજકીય સ્વાર્થ ખાતર ભાજપને આડકતરી રીતે ફાયદો કરાવવાની વેતરણમાં છે. કોંગ્રેસ ઠાકોર નેતાઓને ટિકિટ આપી નથી તેવો પ્રચાર કરીને ઠાકોર મતદારો કોંગ્રેસ વિરૂદ્ધ ઉશ્કેરવાની રાજકીય ગેમ પડદા પાછળ રમવામાં આવી રહી છે.
Post a Comment