વિદ્યાર્થીઓ, ગરીબો, પછાતો અને નાના-મોટા ઉદ્યોગકારો ગુજરાત સરકારના બોર્ડ, નિગમ, કોર્પોરેશન અને કંપનીઓ જેવા જાહેર સહાસોમાંથી લોન લઈને તેની મુડી તો દૂર વ્યાજ પણ ચૂકવતા નથી. જાહેર સાહસોમાં વહિવટી શિથિલતાને લીધે બાકીદારોની સંખ્યા વધી રહી છે. આથી, સરકારી દેવુ વધારનારા દેવાદારો સામે કડક વસૂલાત માટે નાણાં વિભાગે નિર્ણય કર્યો છે.
સ્ટેટ ફાઈનાન્સિયલ કોર્પોરેશન જેવા નાણાકીયથી લઈને ઔદ્યોગિક, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગો, શ્રમિકોના ઉત્કર્ષ માટે ગુજરાત સરકારની યોજનાઓનો અમલ ૭૨થી વધુ બોર્ડ, નિગમ, કોર્પોરેશન અને કંપનીઓ દ્વારા થાય છે. આ જાહેર સાહસો ભેંસ જેવા દુધાળા ઢોરથી લઈને ઓટોરિક્ષા અને નાના-મોટા ઉદ્યોગો, વ્યવસાયો માટે વર્ષે દાહડે રૂ.૨૦૦ કરોડથી વધુની લોન ઓછા વ્યાજ વત્તા સબસિડી સાથે આપે છે. એકવાર આવી લોન લઈને લાભાર્થીઓ ઘરભેગા થઈ જાય છે અને મુદ્દત તો દૂર પણ ઓછા વ્યાજનો તફાવત પણ ચૂકવતા નથી. આ પ્રકારના સેંકડો કિસ્સાઓ બહાર આવતા એકાઉન્ટ જનરલે સખત વાંધો ઉઠયો છે. આથી, નાણાં વિભાગે સરકારના તમામ વિભાગોને એક નાયબ સચિવ કે તેથી ઉપલા સ્તરના અધિકારીને નિયુક્ત કરી પોતાના તાબાના બોર્ડ, નિગમ, કોર્પોરેશન કે સંસ્થાઓની લોન વસૂલાત માટે મોનિટરીંગ કરવા આદેશ કર્યો છે. આ અધિકારીઓને દર ત્રણ મહિને રિપોર્ટ કરવા પણ કહેવામાં આવ્યુ છે.
૯,૦૦૦ લાભાર્થીએ સરકારને ૩૦૦ કરોડનો ચૂનો ચોપડયો
સરકારના બોર્ડ-નિગમોમાંથી લોન લેનારા ૯૦૦૦થી વધુ લાભાર્થીઓએ સરકારને રૂ.૩૦૦ કરોડથી વધુનો ચૂનો ચોપડયો છે. સરકારના અનેક બોર્ડ, નિગમો પાસે તો કોને લોન સહાય આપી તેની વિગતો પણ ઉપલબ્ધ નથી. લોન લઈને હપ્તા ભરવાને બદલે ગાયબ થઈ જતા લાભાર્થીઓમાં સૌથી વધુ ઔદ્યોગિક, વ્યવસાયીક અને વિદ્યાર્થીઓના જૂથનો સમાવેશ થાય છે. બિનસત્તાવાર પણે લોન રિકવર ન થઈ હોય તેનો આંકડો રૂપિયા ૫૫૦ કરોડ થઈ વધુ હોઈ શકે તેમ છે.
Post a Comment