સૌરાષ્ટ્રના બે મોટી મહાનગરપાલિકા રાજકોટ અને જામનગરમાં આજે મેયર પદની વરણી કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મેયર પદે નવા ચહેરા બીનાબેન આચાર્ય (ઉ.પ૭, સોમપુરા બ્રાહ્મણ) પર પસંદગીનો કળશ ઢોળાયો હતો. જ્યારે જામનગરમાં મોવડી મંડળે ર૦ વર્ષ પહેલાના ઈતિહાસને દોહરાવીને હસમુખભાઈ જેઠવાને મેયર પદે આરુઢ કર્યા હતા.
રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી મેયર સહિતના પદાધિકારીઓના સ્થાન માટે કેટલાક નામો ચર્ચામાં હતા. આજે આ સસ્પેન્સ ખુલી જતા ક્યાંક રાજીપાનો વરસાદ વરસ્યો હતો તો ક્યાંક નારાજગીની આગ ભડકી હતી. આ સાથે વર્ષે ૧૭૦૦ કરોડથી વધુનું બજેટ ધરાવતાં રાજકોટ મહાનગરપાલિકાના ર૦મા મેયર તરીકે બીનાબેન આચાર્ય, ડે.મેયર પદે અશ્વીન મોલીયા અને સ્ટે.ચેરમેન પદે ઉદય કાનગડના નામ પર પ્રદેશ ભાજપે મ્હોર લગાવી હતી. શાસક પક્ષ નેતા તરીકે દલસુખ જાગાણી અને દંડક તરીકે અજય પરમારને આગામી અઢી વર્ષ માટે જવાબદારી સોંપવામાં આવી છે.
જામનગરના મેયર તરીકે અગાઉ મેયર રહી ચુકેલા હસમુખ જેઠવા, ડે.મેયર તરીકે અગાઉ રહી ચુકેલા કરશનભાઈ કરમુર અને ચેરમેન તરીકે નવોદિત કોર્પોરેટર સુભાષ જોષી ચુંટાઈ આવ્યા હતા. જ્યારે દંડક તરીકે કોંગીમાંથી ભાજપામાં આવેલા જડીબેન સરવૈયા અને શાસક જુથના નેતા તરીકે પુર્વ ચેરમેન અને હાલ સુધી દંડક રહેલા દિવ્યેશ અકબરીની વરણી કરવામાં આવી હતી.
Post a Comment